Bhagavad Gita: Chapter 11, Verse 4

મન્યસે યદિ તચ્છક્યં મયા દ્રષ્ટુમિતિ પ્રભો ।
યોગેશ્વર તતો મે ત્વં દર્શયાત્માનમવ્યયમ્ ॥ ૪॥

મન્યસે—આપ માનો છો; યદિ—જો; તત્—તે; શક્યમ્—સંભવિત; મયા—મારા દ્વારા; દૃષ્ટુમ્—જોવા; ઈતિ—આ રીતે; પ્રભો—હે ભગવાન; યોગ-ઈશ્વર—યોગિક શક્તિઓના પરમેશ્વર; તત:—તો; મે—મને; ત્વમ્—આપ; દર્શય—દર્શાવો; આત્માનમ્—પોતાના; અવ્યયમ્—અવિનાશી.

Translation

BG 11.4: હે યોગિક શક્તિઓના પરમેશ્વર! જો આપ માનતા હો કે હું દર્શન માટે સમર્થ છું, તો તે અવિનાશી વિશ્વરૂપને મારી સમક્ષ પ્રગટ કરવાની કૃપા કરો.

Commentary

આગલા શ્લોકમાં અર્જુને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનાં વિશ્વરૂપનું દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે તે ભગવાનની સંમતિ અંગે પૃચ્છા કરે છે. “હે યોગેશ્વર, મેં મારી ઈચ્છા વ્યક્ત કરી છે. જો આપ મને સુપાત્ર ગણતા હો, તો કૃપા કરીને આપના વિરાટરૂપને મારી સમક્ષ પ્રગટ કરો તથા આપના યૌગિક ઐશ્વર્યો (ગૂઢ ઐશ્વર્ય)નું દર્શન કરાવો.” યોગ એ પ્રત્યેક આત્માનું પરમાત્મા સાથેના તાદાત્મ્યનું વિજ્ઞાન છે, જે આ વિજ્ઞાનની સાધના કરે છે, તેને યોગી કહેવામાં આવે છે. યોગેશ્વરનો અર્થ છે, “સર્વ યોગીઓનાં પરમેશ્વર.” સર્વ યોગીઓનું સિદ્ધિ પ્રાપ્તિનું લક્ષ્ય પરમાત્મા છે, તદ્દનુસાર, શ્રીકૃષ્ણ સર્વ યોગીઓનાં પરમેશ્વર છે. પૂર્વે શ્લોક સં. ૧૦.૧૭માં અર્જુને શ્રીકૃષ્ણને “યોગી’ તરીકે સંબોધ્યા હતા, અર્થાત્ “યોગનાં સ્વામી”. પરંતુ હવે શ્રીકૃષ્ણ પ્રત્યેના સમ્માનમાં અભિવૃદ્ધિ થઈ હોવાના કારણે તેણે “યોગેશ્વર” તરીકે સંબોધન કર્યું છે.