Bhagavad Gita: Chapter 13, Verse 30

પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ ।
યઃ પશ્યતિ તથાત્માનમકર્તારં સ પશ્યતિ ॥ ૩૦॥

પ્રકૃત્યા—માયિક પ્રકૃતિ દ્વારા; એવ—સાચે; ચ—પણ; કર્માણિ—કર્મો; ક્રિયમાણાનિ—કરવામાં આવેલા; સર્વશ:—સર્વ; ય:—જે; પશ્યતિ—જોવે છે; તથા—તેમજ; આત્માનમ્—દેહધારી આત્મા; અકર્તારમ્—અકર્તા; સ:—તે; પશ્યતિ—જોવે છે.

Translation

BG 13.30: કેવળ તેઓ જ વાસ્તવમાં જુએ છે કે જે જાણે છે કે, સર્વ કાર્યો (શરીરના) માયિક પ્રકૃતિ દ્વારા સંપન્ન થાય છે, જયારે દેહધારી આત્મા વાસ્તવમાં કંઈ જ કરતો નથી.

Commentary

તંત્ર ભાગવત વર્ણન કરે છે: અહંકારાત્ તુ સંસારો ભવેત્ જીવસ્ય ન સ્વતઃ   “શરીર હોવાનો અહમ્ અને કર્તા હોવાનો ગર્વ જીવન-મૃત્યુના સંસારની જાળમાં ફસાવે છે.” માયિક ચેતનામાં અહમ્ આપણને શરીર સાથે તાદાત્મ્ય કરાવે છે અને તેથી આપણે શરીરના કાર્યોને આત્મા પર આરોપિત કરીએ છીએ અને માનીએ છીએ કે, “હું આ કરું છું... હું તે કરું છું.” પરંતુ પ્રબુદ્ધ આત્માને એ બોધ હોય છે કે ખાવું, પીવું, વાર્તાલાપ કરવો કે ચાલવું આ સર્વ કાર્યો કેવળ શરીર દ્વારા જ સંપન્ન થાય છે. છતાં, તે શરીર દ્વારા થતાં કાર્યોના ઉત્તરદાયિત્ત્વથી અળગો રહી શકતો નથી. રાષ્ટ્રપતિ પોતે યુદ્ધ ન કરતા હોવા છતાં પણ તેઓ રાષ્ટ્ર માટે યુદ્ધ કરવાના નિર્ણય માટે ઉત્તરદાયી હોય છે. એ જ પ્રમાણે, જીવ તત્ત્વના કાર્યો માટે આત્મા ઉત્તરદાયી છે, પછી ભલે તે કાર્યો શરીર, મન, કે બુદ્ધિ દ્વારા સંપન્ન થયા હોય. તેથી જ આધ્યાત્મિક સાધકે આ બન્ને વિષયોને ધ્યાનમાં રાખવાના છે. મહર્ષિ વશિષ્ઠ રામને ઉપદેશ આપે છે: કર્તા બહિર્કર્તાન્તર્લોકે વિહર રાઘવ   (યોગ વશિષ્ઠ) “ હે રામ! જયારે કર્મ કરો ત્યારે બાહ્ય રીતે સ્વયંને ક્રિયાશીલ રાખો, જાણે કે પરિણામ તમારા ઉપર આધારિત છે; પરંતુ આંતરિક રીતે પોતાને અકર્તા માનો.”