Bhagavad Gita: Chapter 2, Verse 21

વેદાવિનાશિનં નિત્યં ય એનમજમવ્યયમ્ ।
કથં સ પુરુષઃ પાર્થ કં ઘાતયતિ હન્તિ કમ્ ॥ ૨૧॥

વેદ—જાણે છે; અવિનાશિનમ્—અવિનાશી; નિત્યમ્—સનાતન; ય:—જે; એનમ્—આ; અજમ્—અજન્મા; અવ્યયમ્—અચળ; કથમ્—કેવી રીતે; સ:—તે; પુરુષ:—મનુષ્ય; પાર્થ—પાર્થ; કમ્—કોને; ઘાતયતિ—હણાવે છે; હન્તિ—હણે છે; કમ્—કોને.

Translation

BG 2.21: હે પાર્થ! જે જાણે છે કે આત્મા અવિનાશી, શાશ્વત, અજન્મા અને અચળ છે, એ કોઈને કેવી રીતે હણી શકે અથવા તો કેવી રીતે કોઈને હણવાનું કારણ બની શકે?

Commentary

આધ્યાત્મિક રીતે ઉન્નત આત્મા એ અહમ્ નું દમન કરે છે, જે આપણને એવો અનુભવ કરાવે છે કે, આપણા કર્મોના આપણે કર્તા છીએ. આ અવસ્થામાં, વ્યક્તિ અનુભવી શકે છે કે, જે આત્મા અંદર સ્થિત છે તે કંઈ કરતો નથી. આવો ઉન્નત આત્મા, બધાં જ પ્રકારના કાર્યો કરવા છતાં, ક્યારેય તેનાથી દૂષિત થતો નથી. શ્રી કૃષ્ણ અર્જુનને શિખામણ આપે છે કે, તેણે પોતાની જાતને તે પ્રબુદ્ધ અવસ્થા સુધી ઉન્નત કરવો જોઈએ, સ્વયંને અકર્તા જાણીને, અહમ્ થી મુક્ત થઈ અને કર્તવ્યવિમુખ થવાને બદલે, પોતાનો ધર્મ નિભાવવો જોઈએ.