Bhagavad Gita: Chapter 8, Verse 17

સહસ્રયુગપર્યન્તમહર્યદ્ બ્રહ્મણો વિદુઃ ।
રાત્રિં યુગસહસ્રાન્તાં તેઽહોરાત્રવિદો જનાઃ ॥ ૧૭॥

સહસ્ર—હજાર; યુગ—યુગ; પર્યન્તમ્—પર્યંત; અહ:—એક દિવસ; યત્—જે; બ્રહ્મણ:—બ્રહ્મનો; વિદુ:—જાણ; રાત્રિમ્—રાત્રિ; યુગ-સહસ્ર-અન્તામ્—એક હજાર યુગો સુધી ચાલતી; તે—તેઓ; અહ:-રાત્ર-વિદ:—જે તેના દિવસ અને રાત્રિ જાણે છે; જના:—લોકો.

Translation

BG 8.17: બ્રહ્માનો એક દિવસ (કલ્પ) ચાર યુગો(મહા યુગ)ના સહસ્ર ચક્ર સુધી ચાલે છે અને તેમની રાત્રિની અવધિ પણ તેટલા જ સમયકાળની હોય છે. જે વિદ્વાન આ જાણે છે, તે દિવસ અને રાત્રિની વાસ્તવિકતાને સમજે છે.

Commentary

વૈદિક બ્રહ્માંડ મીમાંસાની પદ્ધતિ અનુસાર સમયની ગણતરી વિશાળ, ગહન અને આશ્ચર્યચકિત કરનારી છે. ઉદાહરણ તરીકે, કેટલાક જંતુઓ રાત્રે જન્મે છે; તેઓ વિકસે છે, પ્રજનન કરે છે, ઈંડા સેવે છે અને વૃદ્ધ થઈ જાય છે. આ બધું એક રાત્રિમાં જ થાય છે. સવારે તેઓ શેરીની બત્તી નીચે મૃત જોવા મળે છે. જો આ જંતુઓને એમ કહેવામાં આવે કે તેમની સમગ્ર જીવન-અવધિ માનવોની કેવળ એક રાત્રિ જેટલી જ હતી તો તેઓ આ અંગે સંદેહ કરશે.

સમાનરૂપે, વેદોમાં વર્ણન છે કે સ્વર્ગીય દેવતાઓ જેવા કે ઇન્દ્ર, વરુણના એક દિવસ અને રાત્રિ પૃથ્વી લોકના એક વર્ષની બરાબર હોય છે. સ્વર્ગીય દેવતાઓનું એક વર્ષ જેમાં ૩૦x૧૨ દિવસો હોય છે તે પૃથ્વીના ૩૬૦ વર્ષો બરાબર છે. સ્વર્ગના દેવતાઓના ૧૨,૦૦૦ વર્ષો પૃથ્વી પરના એક મહા યુગ (ચાર યુગોનું ચક્ર) એટલે કે ૪ લાખ અને ૩૨૦ સહસ્ર વર્ષોને સમતુલ્ય છે.

આવા ૧૦૦૦ મહા યુગ બરાબર બ્રહ્માનો એક દિવસ થાય છે. જેને કલ્પ કહેવામાં આવે છે અને વિશ્વમાં તે સમયનું સર્વાધિક વિશાળ એકમ છે. બ્રહ્માની રાત્રિ પણ તેટલી જ અવધિ ધરાવે છે. આ ગણતરી પ્રમાણે બ્રહ્માની આયુ ૧૦૦ વર્ષની છે. જે પૃથ્વી લોકની ગણના અનુસાર ૩૧૧ ખરબ અને ૪૦ અબજ વર્ષો થાય છે.

આ પ્રમાણે, સમયની વૈદિક ગણના નીચે મુજબ છે:

કળિયુગ : ૪૩૨,૦૦૦ વર્ષ

દ્વાપરયુગ: ૮૬૪,૦૦૦ વર્ષ

ત્રેતાયુગ: ૧,૨૯૬,૦૦૦ વર્ષ

સત્યયુગ: ૧,૭૨૮,૦૦૦ વર્ષ

આ સર્વ એક સાથે મહાયુગ: ૪,૩૨૦,૦૦૦ વર્ષ

એક હજાર મહાયુગ બરાબર બ્રહ્માનો એક દિવસ છે, જે કલ્પ છે: ૪૩,૨૦૦,૦૦૦,૦૦૦ વર્ષો. આ સમાન અવધિની બ્રહ્માની એક રાત્રિ છે. શ્રીકૃષ્ણ કહે છે કે જે આ સમજે છે, તેઓ દિવસ અને રાત્રિના વાસ્તવિક જાણકાર છે.

બ્રહ્માંડની સમગ્ર અવધિ ભ્રમણા જીવનકાળના ૧૦૦ વર્ષની બરાબર હોય છે:૩૧૧ ખરબ ૪૦ અબજ વર્ષ. બ્રહ્મા પણ આત્મા છે, જેઓ આ સ્થાન પ્રાપ્ત કરીને ભગવાન પ્રત્યેના કર્તૃત્ત્વનું પાલન કરે છે. તેથી, બ્રહ્મા પણ જીવન અને મૃત્યુના ચક્રને આધીન છે. જો કે, અતિ ઉન્નત ચેતનાયુક્ત હોવાના કારણે તેઓને આશ્વાસન પ્રાપ્ત હોય છે કે, તેમના જીવનના અંતે તેમને જન્મ-મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરી દેવામાં આવશે અને તેઓ ભગવદ્ લોકમાં પ્રવેશ કરશે. પ્રસંગોપાત, જયારે વિશ્વના સર્જન સમયે કોઈપણ આત્મા બ્રહ્માના ઉત્તરદાયિત્ત્વનું વહન કરવા માટે પાત્ર નથી હોતો ત્યારે ભગવાન સ્વયં બ્રહ્મા બને છે.