Bhagavad Gita: Chapter 14, Verse 2

ઇદં જ્ઞાનમુપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતાઃ ।
સર્ગેઽપિ નોપજાયન્તે પ્રલયે ન વ્યથન્તિ ચ ॥ ૨॥

ઈદમ્—આ; જ્ઞાનમ્—જ્ઞાન; ઉપાશ્રિત્ય—આશ્રિત રહીને; મમ—મારા; સાધર્મ્યમ્—સમાન પ્રકૃતિને; આગતા:—પ્રાપ્ત કરેલા; સર્ગે—સર્જનનાં સમયે; અપિ—પણ; ન—નહીં; ઉપજાયન્તે—જન્મે છે; પ્રલયે—પ્રલય સમયે; ન-વ્યથન્તિ—તેઓ દુઃખનો અનુભવ કરતા નથી; ચ—અને.

Translation

BG 14.2: જે લોકો આ જ્ઞાનના શરણમાં રહે છે, તે મારી સાથે ઐક્ય પ્રાપ્ત કરશે. તેમનો ન તો સર્જનના સમયે પુન:જન્મ થશે કે ન તો પ્રલયકાળે વિનાશ થશે.

Commentary

શ્રીકૃષ્ણ અર્જુનને સુનિશ્ચિત કરે છે કે તેઓ હવે જે જ્ઞાન પ્રદાન કરવાના છે તેને જે લોકો આત્મસાત્ કરશે, તેઓને હવે માતાના ગર્ભના બંધનને ભોગવવું પડશે નહીં. તેમને બ્રહ્માંડના પ્રલયના સમયે ભગવાનના ઉદરમાં નિલંબિત જીવંત અવસ્થામાં રહેવું પડશે નહીં કે તેઓ નવસર્જન સમયે પુન: જન્મ લેશે નહીં. ત્રણ ગુણો (માયિક પ્રકૃતિના ગુણો) વાસ્તવમાં બંધનનું કારણ છે અને તેમનું જ્ઞાન બંધન-મુક્ત માર્ગને પ્રકાશિત કરશે.

શ્રીકૃષ્ણ જે શિક્ષા પ્રદાન કરવા ઈચ્છે છે, તેના પરિણામની ઉદ્દઘોષણાની વ્યૂહરચનાનો વારંવાર ઉપયોગ કરે છે કે જેથી શિષ્યને તન્મયતાથી એકાગ્ર કરી શકે. ન વ્યથન્તિ  અર્થાત્ ‘તેમને દુઃખનો અનુભવ થશે નહીં.” સધર્મ્યમ્ અર્થાત્ તેઓ સ્વયં ભગવાન “સમાન દિવ્ય પ્રકૃતિ” પ્રાપ્ત કરશે. જયારે આત્મા માયાના બંધનમાંથી મુક્ત થાય છે ત્યારે તે ભગવાનની યોગમાયા શક્તિના પ્રભુત્વ હેઠળ આવે છે. તે દિવ્ય શક્તિ તેને ભગવાનના દિવ્ય જ્ઞાન, પ્રેમ અને આનંદથી સંપન્ન કરે છે. ફળસ્વરૂપે, આત્મા ભગવાનની પ્રકૃતિ સમાન બની જાય છે—તે ભગવદ્દ-સમાન દિવ્ય ગુણો પ્રાપ્ત કરે છે.