Bhagavad Gita: Chapter 12, Verse 9

અથ ચિત્તં સમાધાતું ન શક્નોષિ મયિ સ્થિરમ્ ।
અભ્યાસયોગેન તતો મામિચ્છાપ્તું ધનઞ્જય ॥ ૯॥

અથ—જો; ચિત્તમ્—મન; સમાધાતુમ્—સ્થિર કરવા; ન શકનોષિ—અસમર્થ છે; મયિ—મારામાં; સ્થિરમ્—સ્થિર; અભ્યાસ-યોગેન—વારંવાર સાધના દ્વારા ભગવાન સાથે એક થઈને; તત:—ત્યારે; મામ્—મને; ઈચ્છા—ઈચ્છા; આપ્તુમ્—પ્રાપ્ત; ધનંજય—અર્જુન, ધનનો વિજેતા.

Translation

BG 12.9: હે અર્જુન, જો તું તારું મન મારામાં અવિચળ રીતે સ્થિર કરવામાં અસમર્થ હોય તો સાંસારિક કાર્યકલાપોમાંથી મનને વિરક્ત કરીને નિરંતર મારું સ્મરણ કરવાનો અભ્યાસ કર.

Commentary

મનને શ્રીકૃષ્ણમાં સ્થિર કરવું એ સાધના (આધ્યાત્મિક સાધના)ની સિદ્ધિ છે, પરંતુ સાધનાનાં પ્રારંભમાં શીઘ્રતાથી આપણે આવી સિદ્ધિની અપેક્ષા રાખી ન શકીએ. તો એવા લોકોએ શું કરવું, જેઓ મનને શ્રીકૃષ્ણમાં પૂર્ણત: સ્થિર કરી શકતા નથી? શ્રીકૃષ્ણ અહીં ઉપદેશ આપે છે કે તેમણે ભક્તિપૂર્વક તેમનું સ્મરણ કરવાના પ્રયાસો કરવા જોઈએ. એ કહેવત છે કે “અભ્યાસ માનવીને પૂર્ણ બનાવે છે.” આને અભ્યાસ યોગ કહે છે અર્થાત્ “પુનરાવર્તિત અભ્યાસ દ્વારા ભગવાન સાથે જોડાણ.” જયારે જયારે મન અન્ય વિષય કે વિચાર તરફ ભટકવા લાગે, ત્યારે ત્યારે સાધકે ભગવાનનાં નામો, રૂપો, ગુણો, લીલાઓ, ધામો અને પરિકરોનું સ્મરણ કરીને તેને ભગવાનમાં સ્થિર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

જગદ્દગુરુ શ્રી કૃપાલુજી મહારાજ સાધકો માટેનાં ઉપદેશોમાં આ પુનરાવર્તિત સાધના ઉપર વિશેષ ભાર મૂકે છે:

           જગત તે મન કો હટા કર, લગા હરિ મેં પ્યારે

           ઇસી કા અભ્યાસ પુનિ પુનિ, કરુ નિરન્તર પ્યારે (સાધના કરુ પ્યારે)

“હે પ્રિય સાધક, મનને સંસારમાંથી હટાવીને ભગવાનમાં સ્થિર કર. નિરંતર પુન: પુન: આ અભ્યાસ કર.”