Bhagavad Gita: Chapter 10, Verse 14

સર્વમેતદૃતં મન્યે યન્માં વદસિ કેશવ ।
ન હિ તે ભગવન્વ્યક્તિં વિદુર્દેવા ન દાનવાઃ ॥૧૪॥

સર્વમ્—સર્વ; એતત્—આ; ઋતમ્—સત્ય; મન્યે—હું સ્વીકારું છું; યત્—જે; મામ્—મને; વદસિ—તમે કહો છો; કેશવ—શ્રીકૃષ્ણ, કેશી નામક દૈત્યનાં સંહારક; ન—કદી નહીં; હિ—ખરેખર; તે—તમારા; ભગવન્—ભગવાન; વ્યકિતમ્—વ્યક્તિત્વ; વિદુ:—સમજી શકે છે; દેવા:—સ્વર્ગીય દેવો; ન—નહીં; દાનવા:—દાનવો.

Translation

BG 10.14: હે કૃષ્ણ! આપે જે કહ્યું તે સર્વનો સત્ય તરીકે હું પૂર્ણત: સ્વીકાર કરું છે. હે ભગવન્! ન તો દેવો કે ન તો દાનવો આપના વાસ્તવિક સ્વરૂપને સમજી શકે છે.

Commentary

શ્રીકૃષ્ણના દિવ્ય ઐશ્વર્ય તથા અનંત પ્રભુતા અંગેનું સંક્ષેપમાં ધ્યાનપૂર્વક શ્રવણ કરીને, અર્જુનની અધિક શ્રવણ કરવાની પિપાસામાં વૃદ્ધિ થઈ છે. શ્રીકૃષ્ણ પાસે તેમના મહિમાનું અધિક વર્ણન કરવાની ઈચ્છા વ્યક્ત કરીને તે શ્રીકૃષ્ણને સુનિશ્ચિત કરાવવા ઈચ્છે કે તે તેમનાં કથનો સાથે પૂર્ણત: સંમત છે. યત્ શબ્દનો ઉપયોગ કરીને અર્જુન જણાવે છે કે સપ્તમ અધ્યાયથી નવમ અધ્યાય સુધી શ્રીકૃષ્ણએ તેને જે કંઈ કહ્યું છે, તેને તે સત્ય માને છે. તે ભારપૂર્વક જણાવે છે કે શ્રીકૃષ્ણએ જે વર્ણન કર્યું છે તે સર્વ સત્ય છે અને કોઈ રૂપક વર્ણન નથી. તે શ્રીકૃષ્ણને ભગવાન તરીકે સંબોધે છે. દેવી ભાગવત પુરાણમાં ભગવાન શબ્દ અંગે સુંદર રીતે નિમ્ન લિખિત પરિભાષા કરવામાં આવી છે:

            ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસઃ શ્રિયઃ

           જ્ઞાનવૈરાગ્યોશ્ચૈવ ષણ્ણાં ભગવાન્નિઃ

“ભગવાન અર્થાત્ જે છ પ્રકારના ઐશ્વર્યના અનંત માત્રામાં સ્વામી છે—શક્તિ, જ્ઞાન, સૌંદર્ય, યશ, ઐશ્વર્ય તથા વૈરાગ્ય.” દેવો, દાનવો, માનવો આ સર્વ સીમિત બૌદ્ધિક સામર્થ્ય ધરાવે છે. તેઓ ભગવાનનાં પૂર્ણ સ્વરૂપને સમજી શકતા નથી.