Bhagavad Gita: Chapter 6, Verse 36

અસંયતાત્મના યોગો દુષ્પ્રાપ ઇતિ મે મતિઃ ।
વશ્યાત્મના તુ યતતા શક્યોઽવાપ્તુમુપાયતઃ ॥૩૬॥

અસંયત-આત્મના—જેનું મન અનિયંત્રિત છે; યોગ:—યોગ; દુષ્પ્રાપ:—દુર્લભ; ઇતિ—એ રીતે; મે—મારો; મતિ:—અભિપ્રાય; વશ્ય-આત્મના—જેનું મન નિયંત્રિત છે; તુ—પરંતુ; યતતા—જે પ્રયત્ન કરે છે; શક્ય:—શક્ય; અવાપ્તુમ્—પ્રાપ્ત કરવું; ઉપાયત:—યોગ્ય સાધનો દ્વારા.

Translation

BG 6.36: જેનું મન નિરંકુશ છે તેને માટે યોગની પ્રાપ્તિ કઠિન છે. પરંતુ જેણે મનને સંયમિત કરવાનું શીખી લીધું છે અને જે ઉચિત સાધનો દ્વારા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરે છે તે યોગમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. આ મારો અભિપ્રાય છે.

Commentary

પરમ દિવ્ય પરમાત્મા શ્રીકૃષ્ણ હવે મનનું નિયંત્રણ અને યોગની સિદ્ધિ વચ્ચેની કડી સમજાવે છે. તેઓ કહે છે કે, જેઓ વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા મનને સંયમિત કરવાનું શીખ્યા નથી તેમના માટે યોગની સાધના કરવી અતિ કઠિન છે. પરંતુ જેમણે નિરંતર પ્રયાસો દ્વારા મનને પોતાના વશમાં કરી લીધું છે,તેઓ ઉચિત સાધનોની સહાયથી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આ અંગેની પૂર્ણ પ્રક્રિયાનું વર્ણન તેમના દ્વારા અગાઉ શ્લોક ૬.૧૦ થી ૬.૩૨માં કરવામાં આવ્યું છે. જેમાં ઇન્દ્રિયોને વશમાં રાખવી, સર્વ કામનાઓનો ત્યાગ કરવો, મનને કેવળ ભગવાન પર કેન્દ્રિત કરવું, સ્થિર મનથી તેમનું ચિંતન કરવું અને સર્વને સમદૃષ્ટિથી જોવાં વગેરેનો સમાવેશ થાય છે.

આ કથનથી અર્જુનના મનમાં એ સાધક માટે શંકા ઉત્પન્ન થાય છે કે જે સાધક મનને નિયંત્રિત કરવા માટે અસમર્થ છે અને તે હવે શ્રીકૃષ્ણને આ અંગે પ્રશ્ન પૂછે છે.